દાંત કઢાવવાની સારવાર વિષે




સૌપ્રથમ તો આપણે એ જાણશું કે ક્યાં સંજોગોમાં, ક્યાં કારણોસર દાંત કઢાવવો પડે, તે તેના ઘણા કારણો છે. જેમ કે
(૧) જયારે દાંત ખરાબ રીતે સડી ગયો હોય
(૨) પેઢાના રોગને (પાયોરિયા) કારણે દાંત એકદમ હલતો હોય
(૩) દાંત ફરી પાછો બરાબર ના થઇ શકે એ રીતે તૂટી ગયો હોય
(૪) તેની પોઝીસન (સ્થિતિ) એકદમ આડી હોય કે ઉપયોગી ના હોય.

યાદ રાખો :
દાંત કઢાવવા કરતા દાંતને બચાવવો વધારે હિતાવહ છે. ખરાબ થયેલા દાંત જો અન્ય કોઈ સારવારના વિકલ્પથી બચી શકતા હોય તો બચાવવા જોઈએ. કારણકે દાંત કઢાવ્યા પછી તેના પાડોશી દાંતો લાંબા સમયે ખાલી જગ્યા તરફ ઢળે છે. માત્ર એક દાંત કઢાવ્યા પછી પણ ખોરાક ચાવવાની ક્ષમતામાં ધણો ઘટાડો થાય છે. આ તકલીફ નિવારવા માટે જો દાઢ કઢાવવાની જરૂર પડે તો તે જગ્યાએ બીજો કૃત્રિમ દાંત બેસાડી દેવો જોઈએ.

હવે આપણે એ જાણશું કે જો દાંત કાઢાવવાની જરૂર પડે શું કરવું? દાંતના ડોકટર દાંત કાઢતા પહેલા તમારા દાંતની અને મોઢાની તબીબી સારવાર કરશે. આ તપાસના ભાગરૂપે કદાચ જરૂર પડે તો એક્સ-રે પણ પાડવો પડે જેના દ્રારા દાંતની અંદરની સ્થિતિનો ખ્યાલ આવે તેમજ દાંતના મુળિયાની સંખ્યા, આકાર, લંબાઈ તેમજ આજુબાજુના હાડકાનો ખ્યાલ આવે. જેથી દાંત કાઢવો કેટલો સરળ કે અઘરું છે તેનો અંદાઝ મળે.

આ તપાસ દરમિયાન કેટલાક મહત્વના પ્રશ્નો ધ્યાનમાં લેવામાં આવે છે. જેમ કે ભૂતકાળમાં દાંત કઢાવતી વખતે પડેલી તકલીફો, લોહી વધારે નીકળવાની તકલીફ કે અન્ય બીમારીઓ જેમકે ડાયાબિટીસ, બ્લડપ્રેસર, હિમોફિલિયા, હૃદયરોગ, થેલેસેમિયા, કેન્સર, એઈડસ, થાયરોઈડ, અસ્થમા (દમ ) જેવી બીમારીઓ હોય તો ડોક્ટરને જણાવો. અન્ય કોઈ બીમારી માટેની દવાઓ ચાલુ હોય તો તે ડોક્ટરને બતાવો.

જો કોઈ દવાનું રીએક્સન આવતું હોય કે દર્દી ગર્ભવતી હોય તે ડોક્ટરને અચૂક જણાવો.

જો દાંત ની તપાસ દરમિયાન દાંતમાં નોંધપાત્ર રસી હોય તો તમારા ડોક્ટર, દાંત કાઢતા પહેલા થોડાક દિવસો માટે જીવાણું વિરોધી (એન્ટીબાયોટીક) દવાઓ લેવાનું જણાવશે, જેથી દાંત કાઢતી વખતે તેમજ દાંત કઢાવ્યા પછી કોઈ તકલીફ ના પડે.

હવે આપણે એ જાણશું કે દાંત કેવી રીતે કાઢવામાં આવે છે. દાંત કાઢતા પહેલા દાંતની બંને તરફ દાંત તેમજ પેઢાને બહેરુ કરવાનું ઈન્જેક્સન આપવામાં આવે છે, જેથી દાંત કાઢતી વખતે બિલકુલ દુખાવો થતો નથી, પરંતુ જયારે મજબુત દાંત કાઢવા માટે દાંતને આગળ પાછળ હલાવવામાં આવે છે. ત્યારે કઈક દબાણ આવતું હોય તેવી લાગણી અથવા ખ્યાલ આવે છે. પરંતુ દુખાવો થતો નથી.

દાંત કઢાવ્યા પછી કોઈ તકલીફ ન થાય તે માટે કેટલીક તકેદારીઓ રાખવી જરૂરી છે, જેમકે
(૧) દાંત પડાવ્યા પછી રૂનું પૂમડું એક કલાક સુધી દબાવી રાખવું.
(૨) પૂમડું કાઢ્યા પછી ૨૪ કલાક સુધી કોગળા કરવા નહી અને વારંવાર થૂંકવું નહી, થુંક ગળી જવું.
(૩) દાંત પડાવ્યા પછી એક કલાક પછી આઈસ્ક્રીમ, ઠંડુ જ્યુસ, ઠંડું દૂધ વગેરે લઈ શકાય.
(૪) ૨૪ કલાક સુધી ઠંડા, નરમ પોચો ખોરાક લેવો, જેમકે દાળ, ભાત, ખીચડી, ગરમ કે કઠણ વસ્તુ ખાવી નહી.
(૫) દાંત પડાવેલ બાજુથી ચાવવું નહી.
(૬) દાંત પડાવ્યા પછી એક-બે દિવસ, પાન –મસાલા, ધ્રુમપાન કે બજરનો નશો કરવો નહી.
(૭) દાંત પડાવ્યા પછી ધામાં ૨૪ કલાક સુધી થોડું થોડું લોહી આવે તો ચિંતા કરવી નહી. વધારે લોહી આવે તો ડોક્ટરને બતાવવું.
(૮) દાંત પડાવ્યા બાદ દોઢથી બે મહિના પછી તે ખાલી જગ્યાએ શક્ય હોય તો જરૂરથી બીજો કૃત્રિમ દાંત બેસાડવો.

You may like these posts: