દાંત સાફ કરાવવાની સારવાર (સ્કેલીંગ) પછીની સૂચનાઓ



  • દાંત સાફ કરાવ્યા પછી થોડા દિવસ મોઢામાં નવું નવું, કઈક ફેરફાર થયો હોય તેવું લાગશે. તેનું કારણ એ છે કે દાંત ઉપર કે બે દાંતની વચ્ચે જે કઈ પ્લાક કે છારી જામેલ હશે, તે સ્કેલીંગથી દૂર થઈ ગયેલ હશે. દાંત સાફ કરાવતા પહેલા જેટલો વધારે કચરો ભેગો થયેલ હશે એટલું વધારે નવું નવું લાગશે. જે થોડા દિવસોમાં સામાન્ય થઈ જશે. 
  • દાંત સાફ કરાવ્યા પહેલા પણ જો તમને પેઢામાંથી લોહી નીકળવાની તકલીફ રહેતી હોય તો, દાંત સાફ કરાવ્યા પછી હજુ બીજા ૬ થી ૭ દિવસ સુધી આ તકલીફ ચાલુ રહે તો એ એકદમ સામાન્ય છે, પ્લાક તેમજ છારીને કારણે પેઢાં પર આવેલા સોજા ઉતરતા થોડો સમય લે છે. ત્યારબાદ પેઢાની તંદુરસ્તી સામાન્ય થઈ જતાં તેમાંથી લોહી નીકળતું બંધ થઈ જશે. 
  • દાંત સાફ કરાવ્યા પછી દાંત વચ્ચે જગ્યા થઈ ગઈ હોય તેવું લાગશે. જેનું કારણ એ છે કે દાંતની વચ્ચે જે પ્લાક કે છારી એકઠી થયેલ હશે અને આ કચરાએ મોઢામાં દાંતની વચ્ચે જે કઈ જગ્યા રોકેલી હશે તે જગ્યા, દાંત સાફ કરાવ્યા પછી ખાલી થશે અને તેમજ લાંબા સમયથી આ કચરાને કારણે જે કઈ પેઢાં પર સોજો આવ્યો હશે તે પણ ઓછો થતાં પેઢાં થોડા પ્રમાણમાં સંકોચાય છે તેને કારણે દાંત સાફ કરાવ્યા પછી દાંત વચ્ચે જગ્યા થઈ ગઈ હોય તેવું લાગશે. જે થોડા દિવસો પછી સામાન્ય થઈ જશે. 
  • દાંત સાફ કરાવ્યા પછી દાંત થોડા સમય માટે ઠંડા, ગરમ કે મીઠી-ગળી ખાવાની વસ્તુ પ્રત્યે સંવેદનશીલ થઈ શકે છે. તેનું કારણ એ છે કે દાંત સાફ કરાવ્યા પછી જે દાંતના મૂળિયાં ઉપર છારીના પોપડા જામેલ હતા, તે દૂર થતાં દાંતના મૂળિયાં ખુલ્લા થાય છે, દાંતના આ મૂળિયાં સંવેદનશીલ હોય છે, અને તેની ઉપર જામેલ આ છારીના થર દાંત માટે ઇન્સ્યુલેશન જેવુ કામ કરતાં હતા. આ છારી દૂર થતાં દાંતના મૂળિયાં સીધા ઠંડા, ગરમ વસ્તુના સંપર્કમાં આવે છે. તેને કારણે થોડા દિવસો માટે દાંત સંવેદનશીલ બને છે. આ સંવેદનશીલતા માત્ર થોડા સમય માટે જ હોય છે, તેથી ચિંતાનું કોઈ કારણ નથી. દાંત કેટલા સેન્સેટિવ થાય તેનો આધાર દાંત ઉપર છારીનો કેટલો મોટો થર જમા થયો છે, તેના ઉપર તેમજ કેટલા કેટલા સમયના અંતરે દાંત સાફ કરાવો છો, તેના પર રહેલો છે.
  • તમાકુ તેમજ પાન મસાલા કારણે દાંત ગંદા થયેલા હોય અને તેના માટે દાંત સાફ કરાવેલ હોય તો તેમના માટે ખાસ સલાહ કે હવે પછી તમાકુ, પાનમસાલાનો ઉપયોગ ના કરવો. નહિતર ફરીથી દાંત ગંદા થવાનું શરૂ થઈ જશે. 
  • દાંત સાફ કરાવ્યા પછી દાંત-પેઢાની સંભાળ મહત્વપૂર્ણ છે. દાંત સાફ કરવા માટે હમેશા સોફ્ટબ્રશનો ઉપયોગ કરવો અને દાંત અને પેઢાં પર હળવા હાથે ફેરવો. ખૂબ જ વજન આપીને બ્રશ કરવાથી ફાયદા કરતાં વધુ નુકસાન કરે છે, ખાસ કરીને જ્યારે પેઢા હજુ સોજેલા હોય અને અને તેમાં રૂઝ આવવાની પ્રક્રિયા ચાલુ હોય. દર ત્રણ મહિને બ્રશ બદલી નાખવું. બ્રશ કરવાની સાચી પદ્ધતિનું પાલન કરવાથી પેઢામાં ઝડપથી રૂઝ આવે છે તેમજ તેની તંદુરસ્તીની જાળવણીમાં પણ મદદ મળે છે. બ્રશ કરવાની સાચી પદ્ધતિ અમારી ક્લિનિકની ઓફીસીયલ યુ ટ્યુબ ચેનલ પર “દાંતને બ્રશ કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ” આ લીંક પર ક્લિક કરીને શીખી શકો છો. આ વિડીયો સરળ ગુજરાતી ભાષામાં છે. 
  • દર છ મહિને દાંત સાફ કરાવવાની સારવાર માત્ર દાંત સુંદર દેખાય તે માટે જ નથી, તે પેઢાના રોગને રોકવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે, અનિયંત્રિત ડાયાબિટીસ, હૃદય રોગ અને અલ્ઝાઇમરનું જોખમ ઘટાડવામાં પણ મદદ કરે છે - આ બધા પેઢાના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા છે, આવા રોગો જ્યાં સુધી વકરી ન જાય ત્યાં સુધી ધ્યાન બહાર રહે છે. 
  • તેથી, હવે પછી જયારે દાંતની સફાઇ માટે એપોઇન્ટમેન્ટ લેવાનું વિચારી રહ્યા હો, ત્યારે યાદ રાખો: તમે ફક્ત તમારા સ્મિતનું રક્ષણ નથી કરી રહ્યા - તમે તમારા લાંબા ગાળાના સંપૂર્ણ શરીરના સ્વાસ્થ્યમાં રોકાણ કરી રહ્યા છો. 

You may like these posts: